Showing posts with label tarak maheta ka oolta chashmah. Show all posts
Showing posts with label tarak maheta ka oolta chashmah. Show all posts
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની અજાણી વાતો
ચંપકદાદાની એન્ટ્રી સીરિયલના પાંચમા એપિસોડથી થઈ હતી. ચંપકદાદા કચ્છથી મુંબઈ આવે છે અને તે સમયે તેમણે ગોકુલધામમાં ધમાલ મચાવી દીધી હતી અને સોસાયટીના લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા હતાં
'
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટપુસેનાનો નેતા ટપુ ઉર્ફે ટિપેન્દ્ર જેઠાલાલ ગડા હોય છે. જોકે, વાસ્તવમાં ટપુસેનામાં સૌથી મોટો પીન્કુ એટલે કે અઝહર શેખ છે. અઝહર શેખ હાલમાં કોલેજમાં અભ્યાસ કરે છે.
સીરિયલ જ્યારે પ્રસારિત થાય ત્યારે એક ભાગમાં પૂરી પ્રસારિત થાય છે પરંતુ શૂટિંગ એ રીતે થતું નથી. કલાકારો પાસેથી તેમના હિસ્સાનું શૂટિંગ કરાવી લેવામાં આવે છે. ખરી રીતે તો, કલાકારોને પણ ખ્યાલ હોતો નથી કે તેમના હિસ્સાનું શૂટિંગ ક્યાં એપિસોડમાં ક્યારે આવશે. કલાકારો જ્યારે સેટ પર આવે ત્યારે તેમને ક્યા સીનનું શૂટિંગ કરવાનું છે અને ક્યાં સંવાદો બોલવાના છે, તેની માહિતી આપવામાં આવે છે. 
સીરિયલમાં શરૂઆતમાં રિટા રિપોર્ટર તરીકે (પ્રિયા આહુજા રાજડા) હતી. પ્રિયા અને ડિરેક્ટર માલવ રાજડાની પત્ની છે. આટલું જ નહીં દયાભાભી એટલે કે દિશા વાકણી અને સુંદર (મયુર વાકાણી) રિયલમાં પણ ભાઈ બહેન છે. 
સીરિયલમાં મિસિસ ભીડે(માધવીભાભી)નું પાત્ર ભજવતા સોનાલિકા જોષી વાસ્તવમાં મંદાર ચંદાવડકર(આત્મારામ તુકારામ ભીડે) કરતાં સાત વર્ષ મોટા છે, તો જેઠાલાલ પોતાના બાપુજી કરતાં પાંચ વર્ષ રિયલ લાઈફમાં મોટા છે. 
હાલનો બાઘો પાંચમા એપિસોડમાં પોલીસ બનીને આવ્યો હતો. નટુકાકાની સર્જરી થવાની હતી અને તેથી જ તેમના સ્થાને બાઘાનુ પાત્ર આવ્યું હતું. જોકે, નટુકાકા પરત ફર્યા પછી પણ બાઘાનુ પાત્ર લોકપ્રિય થઈ ગયું હોવાથી તે પાત્રને સીરિયલમાં રાખવામાં આવ્યું હતું અને આજે નટુકાકા-બાઘાની જોડી દર્શકોમાં લોકપ્રિય બની ગઈ છે. પોપટલાલ એટલે કે શ્યામ પાઠક અને બોલિવૂડ અભિનેતા વિનય પાઠક એકબીજાના પિતરાઈ ભાઈ છે.


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોકુલધામના તમામ પુરૂષ સભ્યો અબ્દુલની સોડાની દુકાને સોડા પીવા ચોક્કસથી જતી હોય છે. ડિસેમ્બર, ૨૦૧૦માં પ્રસારિત થયેલા એક એપિસોડમાં સોડાનો ભાવ રૂપિયા સાત હોય છે, તેમ દર્શાવવામાં આવ્યું હતું. 
૨૦ મિનિટનો એક એપિસોડ હોય છે. જોકે, આ ૨૦ મિનિટનું શૂટિંગ કરતાં દોઢ દિવસ થતો હોય છે. સીરિયલમાં તો માત્ર અંદાજે ૨૦ પાત્રો દેખાતા હોય છે પરંતુ સેટ પર તો ૮૦-૯૦ માણસોનો કાફલો જોવા મળે છે. 
સીરિયલમાં જેઠાલાલ અને એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે વચ્ચે મેઈન્ટેઈનન્સના મુદ્દે હંમેશા રકઝક થતી રહે છે. જોકે, આ રકમ કેટલી છે, તેની જાણ ભાગ્યે જ કોઈને છે. એક એપિસોડમાં જેઠાલાલે આત્મારામને મેઈન્ટેઈનન્સનો ચેક લખ્યો હતો અને તે રકમ રૂપિયા ૧૫૦૦ હતી. 

કેવી રીતે સીરિયલનું રોપાયું બીજ?
'હમ સબ એક હૈં' માટે અસિત મોદીએ સ્વ. જતીન કાણકિયાનો સંપર્ક કરેલો. તે સમયે તેમણે કહ્યુ હતુ કે તે સુરતના પ્રોડ્યુસર મહેશ વકિલ તારક મહેતાના ટપુડા પરથી 'લો કર લો બાત' સીરિયલ બનાવે છે. તે સીરિયલમાં જતીન જેઠાલાલનો રોલ કરતા હતાં. જે સમયે પાયલોટ એપિસોડ સહિત ત્રણ એપિસોડ જ શૂટ થયા હતાં. જોકે, સીરિયલ હજી એપ્રૂર્વ થઈ નહોતી. આસિત મોદી અને જતીન 'હમ સબ એક હૈં'ના શૂટિંગમાં વ્યસ્ત હતાં અને અસિતને 'લો કર લો બાત'ની દરેક વાત મોટા ભાગે મળતી રહેતી હતી. જોકે, આ સીરિયલ સોની ચેનલ અને મહેશ વકિલ વચ્ચે કમ્યુનિકેશનને કારણે પાસ થઈ શકી નહીં. જતીને અસિત મોદીને તે સમયે કહ્યુ હતુ કે આ સીરિયલ તેમણે બનાવવી જોઈએ. દુઃખની વાત એ છે કે ૧૯૯૯માં જતીન કાણકિયાનુ અવસાન થઈ ગયું પરંતુ અસિત મોદીના મનમાં તો તારક મહેતાની હાસ્યરચના 'દુનિયાને ઉંધા ચશ્મા' પરથી સીરિયલ બનાવવી તે નક્કી થઈ ગયું હતું. વર્ષ ૨૦૦૦માં સોનીએ અસિત મોદીને એક નવી સીરિયલ બનાવવાની ઓફર કરી. તે સીરિયલ હતી, 'યે દુનિયા હૈં રંગીન'. આ સીરિયલમાં અલગ અલગ ધર્મના લોકો એક કોલોનીમાં રહેતા હતાં અને તેમની વચ્ચે હાસ્ય ઉત્પન્ન થાય. આમ તો આ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવી જ હતી. અસિતને 'યે દુનિયા હૈં રંગીન'ની પ્રેરણા પણ 'દુનિયાને ઉંધા ચશ્મા'માંથી જ મળી હતી. જોકે, આ સીરિયલ ઘણી અલગ હતી. આ સીરિયલ એક વર્ષ ચાલી હતી. ત્યારબાદ ટીવી પર સાસુ-વહુઓનો તરખાટ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન અસિત મોદીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' બનાવવાનો નિર્ણય લીધો હતો. 

શરૂઆતમાં નિષ્ફળ રહી હતી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
'તારક મહેતા કા ઉલટા ચશ્મા'નો પહેલો જ એપિસોડ એક ડ્રીમ સિક્વન્સથી શરૂ થાય છે. જેઠાલાલ કઠેડામાં ખડા છે અને વિરુદ્ધ છાવણીમાં આખી સોસાયટી છે. ટપૂડાની હાસ્યલેખમાળાથી પરિચિત મોટા ભાગના ગુજરાતી ઓડિયન્સને આંચકો લાગે છે. આ દુનિયાને ઊંધાં ચશ્માંછે? પાઉડર ગલીના માળાને બદલે આ બધા કોર્ટમાં શું કરે છે? તારક મહેતા તોફાની ટપુડા વિશે કેટલું બધું લખે છે, પણ સીરિયલમાં બાળકો તો દેખાતાં જ નથી.

ગુજરાતી વર્ગ પહેલા એપિસોડ સાથે અનુસંધાન કરી શકતો નથી. નોન-ગુજરાતી દર્શકો પાસે સરખામણી કરવા માટે લેખમાળાનો સંદર્ભ નથી તે ખરેખર તો સારું છે. તેમના માટે આ તમામ પાત્રો તદ્દન નવાં છે, પણ પહેલો એપિસોડ નિષ્પ્રાણ પુરવાર થાય છે. પહેલા અઠવાડિયાના ચાર એપિસોડ પછી કહેવાતા મિત્રો અને હિતશત્રુઓ મૂછમાં મલકીને ચુકાદો આપી દે છે : સિરિયલમાં દમ નથી. જોઈએ, કેટલી ચાલે છે! ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિભાવ મળ્યાં હતાં. આ મિશ્રણમાં જોકે સારા પ્રતિભાવ કરતાં ખરાબ પ્રતિભાવનું પ્રમાણ વધારે છે. અસિત મોદીને નેગેટિવ ફિડબેકની અસર થતી નથી. તેમને પહેલેથી જ આવી જ અપેક્ષા હતી. 'તારક મહેતા...'ની ક્રિએટિવ ટીમ વચ્ચે સતત ચર્ચા-વિમર્શ થાય છે. જેઠાલાલનુ પાત્ર ભજવતા દિલીપ જોષી સ્પષ્ટપણે માનતા હતા કે 'તારક મહેતા' વાંચવાની જે મજા આવે છે, તે એપિસોડ્સ જોવામાં આવતી નથી. તો લેખક તારક મહેતા પર અનેક પત્રો આવે છે. અંતે, સીરિયલમાં ચંપકદાદાની એન્ટ્રી થાય છે અને દયાભાભીનું 'હે મા... માતાજી! અને તેમની ગરબા રમવાની વિચિત્ર શૈલી. આ તમામ વાતોથી દર્શકોને ભરપૂર હાસ્ય મળે છે. 

કોણ છે સીરિયલના નિર્માતા અસિત મોદી, જાણો તેમના વિશે
કોમડી સિરિયલો બનાવીને આખા દેશને હસાવનારા અસિત હસમુખલાલ મોદીને રૂદન સામે કદાચ જન્મજાત વાંધો છે. ૨૪ ડિસેમ્બર, ૧૯૬૬માં પુનામાં અસિતનુ નાનપણ દક્ષિણ મુંબઈના ભૂલેશ્વર વિસ્તારમાં આવેલી દસ બાય દસની નાનકડી રૂમમાં વીત્યું. અસિત મોદીના પિતા હસુમખલાલ મોદી એકદમ શાંત, સરળ અને બેફિકર માણસ. તેઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કંપનીમાં નોકરી કરતા હતાં. તેમને કવિતા લખવાનો શોખ અને વિવિધ લોકોને મળવું તેમને ગમતું હતું. તેમના સરળ સ્વભાવને કારણે જ ઘરમાં મહિનાના અંતિમ દિવસોમાં ખેંચ અને અસિત મોદીનુ જીવન સામાન્ય મિડલ ક્લાસ લોકો જેવું જ હતું. અસિત મોદી ચાલીમાં નાટકો કરતા અને અભિનય પણ કરતા. તેઓ વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેતા હતાં. અસિત મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે તે પોતાની જાતને ટપુ સાથે સરખાવી શકે છે. અંધેરીની શ્રી ચિનાઈ કોલેજ ઓફ કોર્મસ એન્ડ ઈકોનોમિક્સમાંથી ૧૧-૧૨ કર્યું અને કોલેજમાં તો અસિત મોદીને નાટકોનો રંગ લાગી ગયો હતો. કોલેજના ત્રીજા વર્ષમાં અસિત મોદીએ હિંદી નાટક 'બંધુઆ' કર્યું હતું. મિલ-મજૂરો પર આધારિત આ નાટક માટે તેમને ઈન્ટર કોલેજ સ્પર્ધામાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જોકે, કોલેજ બાદ અસિત મોદીએ ક્યારેય થિયેટરમાં કામ કર્યું નથી. બે-ત્રણ જગ્યાએ રૂટિન નોકરી કર્યા બાદ ૧૯૯૧માં અસિત મોદી ટીવી નિર્માત્રી સુશીલા ભાટિયા સાથએ કામ કર્યું હતું. ત્યારબાદ જયેશ ચોક્સીના અકિક ચિત્ર નામનું પ્રોડક્શન હાઉસમાં કામ કર્યું અને બે સીરિયલ્સનું માર્કેટિંગ કર્યું. બહોળો અનુભવ લીધા બાદ અસિતે પોતાની પહેલી સીરિયલ બનાવી, 'હમ સબ એક હૈં'. આ સીરિયલમાં ત્રણ અલગ અલગ ભાષા બોલતી વહુઓની વાત હતી. અસિતની પહેલી જ સીરિયલ ત્રણ વર્ષ ચાલી હતી. 

મિસ્ટર હાથી બદલાઈ ગયા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પહેલાં એપિસોડમાં નિર્મલ સોની ડોક્ટર હાથીની ભૂમિકા ભજવતા હતાં. જોકે, પછીથી નિર્મલ સોનીના સ્થાને આઝાદ કવિ આવી ગયા હતાં. આઝાદ કવિ મૂળ તો બિહારના છે. તેમને નાનપણથી જ ગ્લેમર વર્લ્ડમાં આવવું હતું. તેથી જ તેઓ પોતાના ઘરેથી ભાગીને મુંબઈ આવી ગયા હતાં. તેમણે મુંબઈમાં શરૂઆતમાં નાના-નાના રોલ કર્યા હતાં. જોકે, તેમને ખરી ઓળખ તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કારણે મળી હતી. વાસ્તવિકમાં આઝાદએ કવિ છે. તેઓ કવિતાઓ લખે છે. મિસ્ટર હાથીને નાના બાળકો સાથે સમય પસાર કરવો ઘણો જ ગમે છે. આટલું જ નહીં મિસ્ટર હાથીની કારમાં હંમેશા એક ગિટાર હોય જ છે. તેઓ તેમના ખાસ મિત્ર સાથે મરિન ડ્રાઈવ પર જઈને ગિટાર વગાડે છે અને ગીતો ગાય છે. ૨૧૫ કિલોના મિસ્ટર હાથીએ વજન ઉતારવા માટે સર્જરી પણ કરાવી છે. તે સમયે તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં અન તેમના સ્થાને અન્ય પાત્રને સીરિયલમાં લાવવામાં આવ્યું હતું. મિસ્ટર હાથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરીને ઘણાં જ ખુશ છે. હાલમાં તો તેઓ પોતાના જીવનમાં કોઈ જ ફેરફાર ઈચ્છતા નથી. 

ઘનશ્યામ નાયકની પૌત્રી દાદાને ઓળખે છે નટુદાદા તરીકે તો જેઠાલાલ પહેરે છે શર્ટ કાંતો ઝભ્ભો 
નટુકાકા બનતા ઘનશ્યામ નાયક ગુજરાતી કલાકાર છે અને તેમણે ગુજરાતી રંગભૂમિમાં કામ કરેલું છે. નટુકાકાની સંઘર્ષ ગાથા ૬૩ વર્ષની છે. જ્યાં સુધી તેમની પાસે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નહોતી આવી ત્યાં સુધી તેમને ખરી ઓળખ મળી નહોતી. નટુકાકાનુ પાત્ર ભજવ્યા બાદ હવે ભાગ્યે જ કોઈને તેમનું સાચું નામ ઘનશ્યામ નાયક યાદ છે. તેમના જ શબ્દોમાં તેમનો અનુભવ, 'મને હવે કોઇ મારા નામથી ઓળખતું નથી. હર કોઇ નટુકાકા કહીને બોલાવે છે. તમને નવાઇ લાગશે મારા દીકરા વિકાસની બેબી નમ્યા ચાર વર્ષની છે. તેને હજુ મારું નામ ખબર નથી. તે મને હજુ નટુદાદા કહીને જ બોલાવે છે. પહેલા મને ઓફિસોમાં અને અન્ય કામો માટે ઘણો સમય કામે લગાડવો પડતો હતો. પરંતુ હવે તો મારા દરેક કામ ઘરે આવીને લોકો કરી જાય છે. ક્યાંય પણ જાઉં એટલે નટુકાકાને માન મળે અને કામ થઇ જાય છે. આ લોકોનો પ્રેમ છે, જેને હું સહર્ષ સ્વીકારું છુ. અસિત ભાઇ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો છે. અને મને તક આપવા બદલ તેમનો આભારી છુ. સેટ પર હર કોઇ હળીમળીને ખુશીથી કામ કરે છે, અને આ કોઇ માતાજીની કૃપા છે, કે આ કોમેડી સિરીયલ આટલી સારી રીતે લોકોને પસંદ પડી છે અને લગાતાર ચાલી રહી છે. સાચું કહું તો મને તો તારક મહેતાએ જ તાર્યા છે'.
 
જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ પોતાના કપડાં અંગે કહ્યુ હતુ કે તે કચ્છી વેપારી છે અને તે પ્રમાણેના વસ્ત્રો પહેરે છે. તેમનું પેટ વધારે હોવાથી શર્ટ ઈન કરે તો સારો લાગે નહીં. તેથી જ તેઓ આ રીતના કપડાં પહેરવાના પસંદ કરે છે. સીરિયલમાં તો અંગ્રેજીનો અ પણ જેઠાલાલ જાણતા નથી. વાસ્તવિક જીવનમાં જેઠાલાલ કોન્વેન્ટમાં ભણેલા છે. દિલીપ જોષીને અંગત રીતે અમેરિકન સીરિયલ 'ફ્રેન્ડ્સ' પસંદ છે તથા 'માલગુડી ડેઝ'ના તેઓ ચાહક છે. 

જેઠાલાલ-બબીતા વચ્ચે છે જૂના સંબંધો
જેઠાલાલ અને બબિતાનો નાતો બહુ જૂનો છે. બબિતા એટલે કે મુનમુન દત્તા અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માપહેલા હમ સબ બારાતીનામની સિરીયલમાં સાથે કામ કર્યું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર ધર્મેશ મહેતાએ જ આ સિરીયલનું ડાયરેક્શન કર્યું હતું. મુનમુનનો જન્મ કોલકાત્તા નજીક આવેલા દુર્ગાપુરમાં થયો હતો. દુર્ગાપુરમાં જ ઉછરેલી મુનમુનનો પરિવાર સંગીત સાથે સંકળાયેલો છે. ક્લાસિકલ સંગીતમાં નિપુણતા મેળવનારી મુનમુન એક સારી ડાન્સર પણ છે. રીઅલ લાઇફમાં પણ એટલી જ ફેશનેબલ મુનમુને અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન માટે પુનાની કોલેજમાં એડમિશન લીધું હતું. ૧૬ વર્ષની ઉંમરમાં જ તેને એક ફેશન શોમાં ભાગ લેવાની તક મળી હતી. ત્યાર બાદ તેણે માયાનગરી મુંબઇની વાટ પકડી હતી. જ્યાં તેને દલેર મહેંદીના મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની તક મળી હતી. બોલિવૂડમાં પ્રવેશની મુનમુનની આશાને સૌ પ્રથમ કમલ હસને મુંબઇ એક્સપ્રેસમાં સાઇડ રોલ આપી પૂરી કરી હતી. ત્યાર બાદ તેને પૂજા ભટ્ટની હોલિડેફિલ્મમાં નેગેટિવ રોલ મળ્યો હતો. મુનમુને શાહરૂખ ખાન, યુવરાજસિઁઘ અને અક્ષયકુમાર સાથે જાહેરખબરમાં પણ કામ કર્યું છે.


દિશા વાકાણીએ બી ગ્રેડ ફિલ્મ્સમાં પણ કર્યું છે કામ
તમને જાણીને નવાઇ લાગશે કે દિશા વાકાણી (દયાભાભી)એ બોલિવૂડની કુલ છ ફિલ્મો 'કમસીન', 'ફૂલ ઔર આગ', 'દેવદાસ', 'મંગલ પાંડે', 'જાના...લેટ્સ ફોલ ઇન લવ', 'જોધા અકબર' અને 'સી કંપની'માં કામ કર્યું છે. બીજી વાત એ કે સિરીયલમાં દયાભાભીના પાત્ર માટે પહેલા હમ સબ એક હૈંમાં જેણે ગુજરાતી પટેલ યુવતીનું પાત્ર ભજવ્યું હતું તે ડિમ્પલ શાહની પસંદગી થઇ હતી. જો કે ત્યારે પોતાની પુત્રીના ઉછેર માટે ડિમ્પલ શાહે સિરીયલમાં કામ કરવાની અસંમતિ વ્યક્ત કરી હતી. જો કે ડિમ્પલ શાહે જ પાત્ર માટે દિશા વાકાણી સહિત બે-ત્રણ અભિનેત્રીઓના નામ સૂચવ્યા હતા. આ ઉપરાંત દિલીપ જોષી (જેઠાલાલ)એ પણ દિશાનું નામ જ સૂચવ્યું હતું. ટીવી અભિનેત્રી અંબિકા રંજનકર (મિસિસ હાથી)એ દિશાને આ સિરીયલ માટે આડિશન આપવા જવાનું દિશાસૂચન કર્યું હતું. ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ના રોજ જન્મેલી દિશાએ અમદાવાદમાં પહેલા સિદ્ધાર્થ હાઇસ્કૂલ અને બાદમાં ગુજરાત કોલેજ ખાતે નાટ્ય ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો. દિશાને નાનપણથી નાટકનો શોખ હતો, તેના પિતા પણ નાટક સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. દિશાએ પહેલા અમદાવાદ અને બાદમાં મુંબઇમાં ખાતે અસંખ્ય નાટક અને સિરીયલોમાં કામ કર્યું છે. દિશાને ઇન્ડિયન ટેલી એવોર્ડ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખતે શ્રેષ્ઠ અભિનેત્રી (હાસ્ય)નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ ના મેઈન ડિરેક્ટર હર્ષદ જોશી જેમની શરૂઆતથી આત્યાર સુધીનો સંઘર્ષ
જીવન મંત્ર – નજર બદલાશે તો દુનિયા બદલાશે



ટેલીવિઝન ક્ષેત્રે અને એ પણ હિન્દી સીરીયલ્સ પર જો ગુજરાતીઓનું જ એકચક્રી શાસન હોય અને જે સીરીયલ સંપૂર્ણપણે ગુજરાતી કલ્ચર પર જ આધારિત હોય એવી સીરીયલ કઈ ? તો તરત યાદ આવે નિર્માતા આસિત મોદીની પારિવારિક સીરીયલ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’. જે સીરીયલે અનેક રેકોર્ડ બ્રેક કરી દીધા છે. લોકોના દિલમાં પણ અને દિમાગમાં પણ. તેમાં આવતી વિવિધ વાર્તાઓ રસપ્રદ અને કોમિક રીતે રજૂ થાય છે જેનું શ્રેય તેના દિગ્દર્શક હર્ષદ જોશીને જાય છે. તેઓ આ સીરીયલ સાથે પહેલાથી જ જોડાયેલા છે. સ્વભાવ પણ સારો છે એટલે દિગ્દર્શન કબીલ એ દાદ કરી જાણે છે. તેમની સાથે મુલાકાત થઇ તો તેમના વિષે વધુ જાણવાનો મોકો મળ્યો. આવો જાણીએ તેમના અભિનય અને દિગ્દર્શનની કેરિયર વિષે. તેમની શરૂઆત તો નાટકોમાં બેકસ્ટેજથી લઇ તમામ પાસાઓની જાણકારી ૧૦ વર્ષ સુધી કામ કરીને લીધી. ત્યારબાદ હિન્દી ફિલ્મોના ખ્યાતનામ ગુજરાતી દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહના આસીસ્ટન્ટ તરીકે થોડો સમય કામ કર્યું. એ સાથે મૂળ મહુવાના વાતની અને બોલીવૂડ એક્ટ્રેસ આશા પારેખ સાથે પણ આસીસ્ટન્ટ તરીકે તેમને પ્રથમ સીરીયલ ‘અખંડ સૌભાગ્યવતી’ કરવા મળી.
પ્ર – તમે અભિનય કરતા હતા તો ડિરેક્શનમાં કરી રીતે આવ્યા ?


ઉ – હું નાટકોમાં અભિનય કરતો હતો ત્યારે મારૂ ધ્યાન મારા અભિનયની સાથે સાથે તેના ડિરેક્ટર પર પણ હતું. કે તેઓ કઈ રીતે ડિરેક્શન કરે છે, તેની મૂવમેન્ટ હું સ્ટડી કરતો. મારી આ કામ પ્રત્યેની ધગશ જોઇને ડિરેક્ટરે કહ્યું કે તારૂ માઈન્ડ ડિરેક્શન તરફ વાળ. તેમાં તને ચોક્કસ સફળતા મળશે. એટલે મેં અભિનય કરતા કરતા ડિરેક્શન પણ કરવાનું ધીરે ધીરે ચાલુ કર્યું. અને મને લાગ્યું કે મારે હવે કેરિયર ડિરેક્શનમાં જ બનાવવી છે. દિગ્દર્શક તરીકે હું કલાકારને કહી શકું છું કે ડાયલોગ્ઝમાં ક્યાં આરોહ – અવરોહ હોવો જરૂરી છે અને કલાકારને શું પ્રોબ્લેમ છે તે હું તરત જાની શકું છું. જો અભિનેતા હોત તો હું તે ન કરી શકત. આસીસ્ટન્ટ રહ્યાનો મારો અનુભવ છે એટલે કલાકાર માટે આવા પ્રોબ્લેમ્સ હું ઇઝી કરી દઉં છુ જેથી એ કલાકાર એની કળા સરળતાથી પડદા પર કરી શકે.
પ્ર – ‘તારક મહેતા.....’ કેવી રીતે મળી ?


ઉ – મને આસિતભાઈ મોદીએ ફોન કરીને બોલાવ્યો ત્યારે હું ઓલરેડી ‘નીલા ટેલીફિલ્મ્સ’ ની જ ‘ક્રિશ્નાબેન ખાખરાવાલા’ ડિરેક્ટ કરતો જ હતો. ત્યારે તેમને મારૂ કામ જોઇને લાગેલું કે ‘તારક મહેતા.....’ માં એક સારા ડિરેક્ટરની જરૂર છે એટલે એમણે મને બોલાવી અને ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ નું દિગ્દર્શન સોંપ્યું. જે આજ સુધી એટલે છેલ્લા સાત વરસથી મેઈન ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છુ.
પ્ર – ડેઈલી સોપ સિરીયલને લીધે ફેમીલી માટે સમય કેવી રીતે આપો છો ?
ઉ – આમ જોવા જઈએ તો અમારી સીરીયલ અઠવાડિયામાં પાંચ વાર ટેલીકાસ્ટ થાય છે જેથી ફેમીલી માટે બહુ ઓછો સમય આપી શકું છું જયારે કોઈ ફેમીલી ફંક્શન ચુકાઈ જાય ત્યારે ઘણું દુઃખ થાય છે પણ સાથે જ મારા કામની દર્શકો દ્વારા પ્રશંસા થતા એ બધું ભુલાઈ જાય છે. મને ખુશી એ પણ છે કે આટલા વરસથી સૌ સાથે કામ કરીએ છીએ એટલે એક પરિવાર જેવું લાગે છે. અહીં દરેક ધર્મના તહેવાર ઉજવીએ છીએ, દરેક લોકોને પ્રેમ કરીએ છીએ. સાથે રહીએ, રમીએ, નાચીએ, ગાઈએ એટલે કોઈ બીજો અફસોસ નથી રહી જતો.


પ્ર – નિર્માતા આસિત મોદી સાથે કામ કરતા કેવું લાગે છે ?
ઉ – ‘તારક મહેતા.....’ સીરીયલ માટે મને આસિતભાઈ મોદીએ મેઈન ડિરેક્શન સોંપ્યું જેના માટે હું એમનો હંમેશા આભારી રહીશ. સીરીયલ નો ડાઉટ હીટ જ હતી મારા આવ્યા પહેલા પણ. પરંતુ એ વસ્તુની ટકાવી રાખવી તે મહત્વની વાત છે. તેનું જતન કરવું મારા માટે મારૂ લક્ષ્ય છે. એમણે મને જે જવાબદારી આપી એને હું પૂરી નિષ્ઠાથી નિભાવી જાણું બસ એ જ મારૂ કામ છે. તમે ઘણી સીરીયલ્સ જોતા હશે કે શરૂઆત ધમાકેદાર હોય છે પણ તેની લોકપ્રિયતા ધીમે ધીમે ઓછી થતી જાય છે, જયારે અમારી સીરીયલને પહેલા જેટલા દર્શકો મળતા હતા એના કરતા વધુ દર્શકો અત્યારે મળી રહ્યા છે સાથે સાથે દર્શકોનો પ્રેમ પણ એટલો મળે છે કે કોઈ કલાકાર અન્ય શહેરમાં જાય તો લોકો તેને તેના રીઅલ નામથી નહિ પણ અમારી સીરીયલના નામથી જ બોલાવે છે.


પ્ર – ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ કરશો ?
ઉ – ગુજરાતી ફિલ્મોનો પહેલા કપરો સમય હતો કે જેમ મરાઠી ફિલ્મો કે અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મો સારી બનીને અધધ કમાણી કરી રહી છે તો તેવું ગુજરાતી ફિલ્મોમાં ક્યારે થશે. હવે ગુજરાતી ફિલ્મોનો સારો દોર ચાલી રહ્યો છે. જેમ દક્ષિણની ફિલ્મો બંને છે એવી ગુજરાતી ફિલ્મો નવા નવા ડિરેક્ટર્સ બનાવશે અને નવા નવા જે અભિનેતા અભિનેત્રીઓ આવી રહ્યા છે એટલે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મોને ટક્કર આપે એવી બની રહી છે. મારી પાસે બે ત્રણ સારા ગુજરાતી ફિલ્મો માટેના કોન્સેપ્ટ છે જેના પર હું ફોકસ કરી રહ્યો છું. મારો પણ વિચાર છે કે એક સારી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરું.   



n  ગજ્જર નીલેશ 
 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes